જાંબુ – વર્ષાઋતુનું ફળ
જાંબુ વર્ષાના પ્રારંભકાળનું ફળ છે. ભારે વરસાદ પછી જાંબુની મોસમનો અંત આવે છે. જાંબુ નાના અને મોટા એમ બે પ્રકારના મળે છે. સ્વાદની દૃષ્ટિએ મોટા જાંબુ સારા લાગે છે જ્યારે ઔષધિય ગુણ વત્તાને દૃષ્ટિએ નાના જાંબુ ઉત્તમ છે.
સ્વાદે તૂરા, મધૂર અને ખાટા તેમજ ગુણથી લુખા અને શીતળ હોવાથી વાયુવર્ધક છે.
જાંબુનાં ઔષધિય ઉપયોગો
1] જાંબુમાં રહેલા ઍસિડ દ્રવ્યો પથરીને ઓગાળવાનો ગુણ ધરાવે છે. ખાસ કરીને જે બાળકોને સ્લેટની પેન તથા ચોક ખાવાની આદતને કારણે પથરી થતી હોય તેમના માટે મીઠું મરી મેળવેલા જાંબુનું સેવન લાભદાયક છે.
2] જ્યારે પેશાબમાં શર્કરાનું પ્રમાણ વધતું હોય અને વારંવાર પેશાબ માટે જવું પડતું હોય તેવા રોગીઓએ જાંબુના ઠળિયાનું ચૂર્ણ [બે ગ્રામ] સવારે ઠંડા પાણી સાથે લાંબો સમય સુધી લેવાથી ફાયદો થાય છે. સેંટ્રલ ડ્રગ રિસર્ચ ઈંસ્ટિટ્યુટ [લખનૌ] દ્વારા સંશોધન અનુસાર જાંબુના ઠળિયામાં આવેલી ઔષધિ થકી ડાયાબીટીસના દર્દીના પેશાબમાં વધતી સુગર લેવલમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.
3] વારંવાર થતા ઝાડા અને સંગ્રહણી [જૂનો મરડો] જેવી તકલીફ ધરાવતા રોગીઓ માટે લાંબા સમય સુધીજાંબુનાઠળિયાનું ચૂર્ણ [આશરે પાંચ ગ્રામ] છાશ અથવા દહીં સાથે દિવસમાં એક વખત લેવાથી સારૂં પરિણામ આવી શકે છે.
4] નસ્કોરી ફૂટી, નાકમાંથી લોહી નીકળે ત્યારે જાંબુના કૂણા પાનનો રસના બે ટીપાં નાખવાથી ફાયદો થાય છે.
5] દુઝતા હરસ અને મસામાં પાકા જાંબુ મીઠા મરી સાથે ખાવાથી ફાયદો થાય છે.
6] કમળો, લીવર તથા બરોળનો સોજા પર જાંબુનું સેવન અસરકારક છે.
7] કાનમાં પરૂ થયું હોય તો પાકા જાંબુનો રસ બે- બે ટીપા કાનમાં નાખવા.
8] શ્વેત પ્રદરમાં આશરે નાની વાટકી ચોખાના ઓસામણમાં બે ગ્રામ જાંબુના ઠળિયાનું ચૂર્ણ અસરકારક છે.
9] લોહીના વિકારથી થતા ગૂમડાં પર જાંબુના વૃક્ષની છાલનું ચૂર્ણ લગાડવું.
10] પયોરિયા અથવા દાંતમાંથી ઝરતા લોહી માટેજાંબુના ઠળિયાનું સેવન ફાયદાકારક છે.
11] પેટમાં કૃમિ તથા ચમકતી ત્વચા માટે જાંબુનું સેવન હિતકારી છે.
જાંબુનું સેવન કરતા પહેલાં આટલી બાબતનું ધ્યાન રાખવું.
સાંધાના દુ:ખાવાના દર્દી, સાયટિકાના દર્દી, વાઈ, આંચકી, કબજિયાત અને પેરેલીસીસનાં દર્દીએ ક્યારેય જાંબુનું સેવન ન કરવું.
શરીરે સોજા રહેતા હોયકે માસિક ધર્મના દિવસો દર્મિયાન અથવા ગર્ભિણી સ્ત્રીઓએ જાંબુનું સેવન ન કરવું.
ગાયકો કે વક્તાઓએ જાંબુનું સેવ ન કરવું તેનાથી સ્વરપેટીને નુકશાન થાય છે.
ભૂખ્યા પેટે કે ઉપવાસ દરમિયાન જાંબુનું સેવન ટાળો.
જાંબુ સાથે મીઠા મરીનો ઉપયોગ જરૂરથી કરશો.
બીમારીમાં ઉપયોગી જ્યુસ
ફળ અને શાકભાજીના રસ જુદીજુદી બીમારીઓમાં ઔષધીના રૂપમાં આપવામાં આવે તો શરીરની ખનિજ અને વિટામીન વિટામીનની ઉણપ દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે તેમજ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
* બ્લડ પ્રેશર:- દૂધી અને ટામેટાના જ્યુસથી બી.પી. કંટ્રોલમાં રહે છે.
* કમળો:- પાઈનેપલ, શેરડી તથા બિજૌરાનો રસ કમળા પર ફાયદાકારક છે. આ રસ પીવાથી ભૂખ ઉઘડે છે અને શરીરમાં શક્તિનો સંચાર થાય છે.
* એનીમીયા:- એનીમીયાના દર્દી માટે સફરજન, પપૈયા, મોસંબી તથા પાલક, ગાજર, ટામેટાઅને કોથમીરનો મિક્સ રસ ફાયદાકારક છે.
* એસીડીટી;- એસીડીટીના દર્દીએ સંતરા-પપૈયા અથવા ટામેટાનો રસ પીવો જોઈએ.
* કબજીયાત:- કબજીયાતની બીમારીમાં પપૈયા, લીંબુ અને ટમેટા, પાલક તથા ગાજરનો મીક્સ જ્યુસ ફાયદાકારક છે.
* આંખોના રોગ:- રતાંધળાપણું અથવાનજરની ખામીમાં ગાજર,કેરી,પપૈયું અને ટામેટાનો રસ આપી શકાય છે.
* ડાયાબિટીસ:- ડાયાબીટીસ પર કારેલા અને જાંબુનો રસ ફયદાકારક છે.
* અપચો તથા પેટના દર્દ:- ફૂદીનો અથવા દ્રાક્ષનો રસ અપચા તથા પેટના દર્દ પર ફાયદાકારક છે.
* શરદી-તાવ:- આદુ અને અરડુસીનો રસ શરદી અને તાવ પર લાભદાયક છે.
* માથાનો દુઃખાવો:- વિટામીન બી ની ખામીને લીધે જો માથાનો દુઃખાવો હોય તો કેળાનો રસ લેવો.
ઉનાળામાં પાણી માટે ધ્યાન રાખો
* પાણીનું પાઉચ ખરીદતા પહેલા ISI માર્કની જાંચ કરો.
* પાણીના પાઉચ પર કઈ તારીખ પહેલા વાપરવાની સૂચના છે તે ચોક્કસ વાંચો. તેમજ પ્યોરીફીકેશનની માટે કઈ પદ્ધતિ વાપરી છે તે વાંચો
* નોન સ્ટન્ડર્ડ કંપનીનું પાણી ખરીદવાનું ટાળો.
* બૉટલનું સીલ તુટેલું નથી કે ફરીથી સીલ કરેલું નથી તેની ખાતરી કરી લો.
* મીનરલ વૉટરની બૉટલ ખાલી થયા બાદ તેને વૉટરબેગની જેમ વાપરશો નહી કારણ એકની એક બૉટલ વારંવાર વાપરવાથી તેનું પાતળું પ્લાસ્ટિક તે પાણીને પ્રદુષિત કરે છે.
* પ્લાસ્ટિકની બૉટલમાં પૅક પાણી સીધા સૂર્યપ્રકાશમાં પડ્યું હોય તેવી પાણીની બૉટલ ખરીદવાનું ટાળો.
* કાર, બાઈક કે બેગ કે જ્યાં સીધો સૂર્યપ્રકાશ પડતો હોય તે જગ્યાએ પાણીની બૉટલ કે પાઉચ ન મૂકશો.
* ઉનાળામાં તપી ગયેલું પાણી પીવાનું ટાળતા છોડવાને પાઈ દો.
* ઘરમાં કે બહાર ઘરનું સ્વચ્છ પાણી ફૂડ ગ્રેડની પ્લાસ્ટિકની બૉટલમાં ભરીને વાપરવાનો આગ્રહ રાખો.
અંજીર
અંજીર એક મોસમી ફળ છે. જોકે તે સૂકાયેલા સ્વરૂપમાં આખું વર્ષ મળી રહે છે. અંજીરમાં પૌષ્ટિક તત્વો પુષ્કળ પ્રમાણમાં છે. વિટામિન એ, બી, ઉપરાંત ફૉસ્ફરસ, કૅલ્શિયમ, આયર્ન તેમજ મૅંગેનીઝ જેવાં ખનિજોનો સમાવેશ થાય છે.
અંજીરના ફાયદા
* પૅક્ટિન એક સોલ્યુબલ ફાઈબર છે જે પાચનતંત્ર માટે ઉપકારક છે અને શરીરમાં જમા થયેલા કૉલેસ્ટ્રોલને બહાર કાઢે છે.
* શરીરમાં સોડિયમનું પ્રમાણ વધવાથી તેમજ પૉટેશિયમનું પ્રમાણ વધવાથી ‘હાઈપર ટેંશન’ની પરિસ્થિતી સર્જાય છે. અંજીરમાં સોડિયમનું પ્રમાણ ઓછું અને પૉટેશિયમનું પ્રમાણ વધુ હોવાથી તે આ સમસ્યા દૂર કરે છે.
* સૂકા અંજીરમા ઑમેગા-3, ફિનોલ, ઑમેગા-6 અને ફેટી ઍસિડ હોવાને કારણે હાર્ટની બિમારીઓ રોકે છે.
* અંજીરમાં રહેલા કૅલ્શિયમથી હાડકાં મજબૂત રહે છે. * અંજીરમાં રહેલું પૉટેશિયમ ‘બ્લડ સુગર’નું નિયંત્રણ કરે છે તેથી ડાયાબિટીસનાં દર્દી માટે ફાયદાકારક છે.
* અંજીરમાં હાજર રહેલું આયર્ન ઍનેમિક પરિસ્થિતી દૂર કરવામાં મદદગાર થઈ રહે છે.
* તાજા અંજીરને પીસીને તેની પેસ્ટ ચહેરા પર લગાડવાથી ચહેરો ખીલી ઊઠે છે. આ પેસ્ટ ‘સ્ક્રબ’નું કાર્ય કરે છે. ચહેરા પરની મૃત પેશીઓને દૂર કરે છે.
* અંજીરનું સેવન થાક દૂર કરે છે તેમજ મગજને સતર્ક રાખે છે.
* વધતી ઉંમરમાં આવતી નજરની કમજોરી અંજીરના સેવનથી ઓછી વર્તાય છે.
પગની સંભાળ
ચોમાસામાં વરસાદને કારણે ભરાતા ખાબોચિયામાં પગ પડતા જ ગંદા પાણીથી એલર્જી થવાનો ભય રહે છે તેથી ચોમાસામાં પગની વધુ કાળજી લેવી જરૂરી છે. જો પગની થોડી કાળજી લેવામાં આવે પગની સુંદરતા વધે છે. જોઈએ તો પગની કાળજી કેવી રીતે લેવી જોઈએ.
પ્રથમ તો જ્યારે બહારથી આવીયે તો પહેલા તો હાથ અને પગ ધોવાની આદત પાડવી જોઈએ.
પગને વ્યાયામની પણ જરૂરત છે તો તે માટે ચાલવુ જરૂરી છે જે પગ માટે ઉત્તમ વ્યાયામ છે.
દિવસભરનો થાક ઉતારવા ગરમ ઠંડા પાણીનો ઉપયોગ કરો. ‘એપ્સમ સોલ્ટ’ ભેળવેલા ગરમ ઠંડા પાણીમાં ક્ર્મશઃ પગ ડૂબાડવાથી થાક ઉતરી જશે. ‘એપ્સમ સોલ્ટ’ સારું પરિણામ આપે છે.
પગ પર ખંજવાળ આવતી હોય તો પગ પર લીંબુ અને સરકો લગાડો.
જૂતા એવા ખરીદો જે પગમાં પૂરેપૂરા ફીટ બેસે અને પગ પર દબાણ ન આવે તેનું ધ્યાન રહે.
પગની એડી પર નિયમિત મોઈશ્ચરાઈઝર લગાડો જેથી એડીની ત્વચા ફાટે નહી.
પગની એડીની ત્વચા ફાટવી એ બહુ જ સામાન્ય સમસ્યા છે.
ત્વચા રૂક્ષ થઈ જાય છે ત્યારે ત્વચામાં ચીરા પડે છે અને દુઃખાવો થાય છે અને કદીક તેમાંથી લોહી વહેવા માંડે છે અને સતત ખંજવાળ ચાલુ થઈ જાય છે. આના ઘણાં કારણો હોઈ શકે છે.
૧] રૂક્ષ ત્વચા
૨] સ્થૂળ કાયા
૩] નિષ્ક્રિય સ્વેદ ગ્રંથિઓ
૪] દિવસ દરમિયાન લાંબો સમય લાંબો સમય ઊભારહેવુ.
૫] પાછળથી ખુલ્લી ડિઝાઈનવાળા સેંડલ
૬] થાઈરોઈડની તકલિફ
૭] ડાયાબિટીઝ
ઉપચાર
૧] પગને હુંફાળા પાણીમાં બોળી રાખવા. પ્યુમિક સ્ટોનની મદદથી ‘ડેડ સ્કિન’ ઘસીને કાઢી નાખી તેની પર મોઈશ્ચરાઈઝર ક્રીમ લગાડવું. વેસિલિન પણ લગાડી શકાય. ત્યારબાદ પગમાં મોજા પહેરવા.
૨] ગરમ કોપરેલ તેલમાં થોડું વેક્સ ભેળવી ઠંડુ પડે પગની એડી પર લગાડવું.
૩] ગાયનું ઘી પગની એડી પર ઘસી શકાય.
૪] ૩૦ ગ્રામ પેરાફિન વેક્સમાં ૧૦૦ ગ્રામ રાઈનું [મસ્ટાર્ડ] તેલ અને ચપટી હળદર ભેળવી ગરમ કરવું, ઠંડું પડે રાતે તેને પગની એડી પર લગાડવું. સવારે ધોઈ નાખવું. ૧૦ થી ૧૫ દિવસમાં ફાયદો દેખાશે. ૫] નિયમિત પેડિક્યોર અને ફૂટ મસાજ કરાવવુ. એનાથી એડીની ત્વચા મુલાયમ રહેશે.
તુલસીના ગુણો
કૃષ્ણ પ્રિયા તુલસીમાં અનેક ઔષધીય ગુણો છે.
• તુલસી, હળદર અને કાંદાની પેસ્ટ મધ સાથે ચાટવાથી ઉધરસમાં રાહત થાય છે.
• ત્રણ ગ્રામ તુલસીના સુકા પાન અને એક ગ્રામ આદુનો રસ ચા સાથે પીવાથી શરદી ઉધરસમાં ગુણકારી નીવડે છે.
• એક ગ્રામ સંચલ અને 10 ગ્રામ તુલસીની પેસ્ટ બનાવી પાણી સાથે લેવાથી અજીર્ણમાં ફાયદો કરે છે.
• અજીર્ણની સાથે પેટમાં દુઃખાવો થાય તો તુલસી અને આદુનો રસ ભેળવી એકે એક ચમચો દિવસમાં ત્રણ વખત હુંફાળુ કરીને લેવાથી તરત ફાયદો થાય છે.
• પાંચ ગ્રામ તુલસી અને પાંચ ગ્રામ મરી સાથે ચાટી તેની સાથે પુષ્કળ પાણી પીવાથી અજીર્ણમાં રાહત થશે.
• અવાજ બેસી ગયો હોય તેમજ ગળું ઘસાતું હોય તો તુલસી, કાંદો તથા આદુનો રસ કાઢી મધ સાથે ચાટવાથી ફાયદો થશે.
• તુલસીનું પાન આંચ પર તપાવી મીઠા સાથે ચાવવાથી બેસેલા અવાજ પર રાહત આપે છે.
• આંખ પર સોજો આવ્યો હોય તો તુલસીના કાઢામાં થોડી વાટેલી ફટકડી ભેળવી હુંફાળું કરી રૂ ના પૂમડાથી આંખની પાંપણ શેકવી.
• તુલસીના પાનની ચા બનાવી ગરમ ગરમ પીવાથી અરૂચિ દૂર થાય છે.
• ઊલટીમાં તુલસીનો રસ પીવાથી અથવા તુલસીના રસમાં મધ ભેળવીને લેવાથી રાહત રહે છે.
પથરી
આપણા શરીરની પાચનક્રિયા દ્વારા રોજિંદા ખોરાકમાંથી કૅલ્શિયમ ચૂસાય છે પણ જ્યારે એનો અતિરેક થાય છે ત્યારે તેનો મૂત્ર દ્વારા નિકાલ થાય છે. જ્યારે શરીર દ્વારા વધુ પડતુ કૅલ્શિયમ ચૂસાય છે ત્યારે કૅલ્શિયમના ક્રિસ્ટલ એટલે પથરી બને છે. અને જ્યારે એ મૂત્રનળીમાં પ્રવેશે છે તે તે ખૂબ પીડાકારક બને છે.
પથરી થયાની નિશાનીઓ
પડખામાં કે પીઠમાં સખત દુઃખાવો થાય
મૂત્ર દ્વારા લોહીનું વહેવું તાવ આવે અને ઠંડી લાગે ઉલ્ટીઓ થાય
મૂત્રમાં દુર્ગંધ આવે અને મૂત્ર ગાઢુ વહે છે
પેશાબમાં બળતરા થાય છે
જ્યારે ઉપરોક્ત નિશાનીઓ જણાય ત્યારે ડૉકટરની સલાહ લેવી.
પથરીના ઘરગથ્થુ ઉપાય
* રાજમા ઉપયોગ છૂટથી કરવો
• રોજિંદા ખોરાકમાં સેલેરીની ભાજીનો ઉપયોગ કરો જે મૂત્રાશયમાં રહેલી પથરી ઓગાળવામાં મદદ કરશે.
• આયુર્વેદની દવાઓમાં તુલસી ઉત્તમ ગણાય છે. થોડી તુલસીના પાન ચાવી જાવ અથવા એક ચમચી તુલસીનો રસ મધ સાથે 6 મહિના સુધી લેવો.
• રોજના બે સફરજન જમ્યા બાદ ખાવા. સફરજન મૂત્રાશયની પથરી પર અસરકારક છે.
• જે ફળમાં વધુ પાણી હોય તે ફળ ખાવું જરૂરી છે જેવું કે કલિંગર.
• આધુનિક શોધખોળ વિટામિન બી6 મૂત્રપિંડની પથરી પર અસરકારક છે.
• મૂળા, કોબી, કૉલીફ્લાવર, ટામેટા, ભાજી, અથાણા, માંસાહાર વગેરે ખાવાનું ટાળો જેનાથી મૂત્રાશયની પથરી હેરાન ન કરે.
• જે ખોરાકમાં વધુ પડતું કૅલ્શિયમ અને ફોસ્ફેટ હોય તે ખોરાક ટાળો જેવા કે ઘઉં, ચણા, વટાણા, કોપરું, બદામ, કૉલીફ્લાવર, કૉબી, ગાજર અને દૂધની બનાવટ ખાવાનું ટાળો.
• મગ જેવા ઓછા પ્રોટીનવાળો ખોરાક લો.
• પુષ્કળ પાણી પીવાનું રાખો.
• આધુનિક રિસર્ચ પ્રમાણે યોગ જેવાં કે પવનમુક્તાસન, ધનુરાસન, ઉત્તાનપાદાસન, ભૂજંગાસન વગેરે પથરી પર ઉત્તમ છે.
• બે સૂકા અંજીર લઈને 1 કપ પાણીમાં ઉકાળો. આ ઉકાળો સવારના ભૂખ્યા પેટે દિવસમાં એકવાર પીઓ. આ ઉકાળો એક મહિના સુધી લો.
ઋતુ પ્રમાણે મળતા ફળ અને શાકભાજી દ્વારા મળતી સુંદરતા
જુદી જુદી ઋતુ પ્રમાણે મળતા શાકભાજી અને ફળો જો આરોગવામાં આવે તો આરોગ્ય સાથે બાહ્ય સુંદરતા મળે છે. જો કે હવે તો દરેક સીઝનમાં દરેક ફળો મળી રહે છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જોઈએ.
સંતરા [નારંગી]:- વિટામીન સીથી ભરપૂર સંતરા ખાટા મીઠા હોય છે. તેની છાલ, રેસાં, ગર બધાં જ શરીર માટે લાભદાયક છે. તેની છાલને સૂકવી તેનો પાઉડર બનાવી ફેસપેક બનાવી તેનો ઉપયોગ થઈ શકે છે.
સંતરાની છાલને રાત્રે તાંબાના લોટામાં પાણી સાથે પલાડવી અને સવારે તેનાથી વાળ ધોવાથી અને નાહવાથી ફાયદો થાય છે.
સફરજન:- સફરજનના માવાને કાઢી તેને મસળી ચહેરા પર લગાડવાથી ત્વચામાં કુમાશ આવે છે.
સફરજનનાં રસમાં અડધી ચમચી મધ, અડધી ચમચી ગુલાબજળ ભેળવી હલકા હાથે ચહેરા પર ઘસવાથી ત્વચામાં ચમક આવશે અને મેલ દૂર થશે.
સફરજનનો રસ માથામાં લગાડવાથી ખોડો દૂર થશે.
કેળું:- કેળાનાં ગરને નિયમિત ચહેરા પર લગાડવાથી ચહેરા પરના કાળા ધાબા દૂર થશે અને ચહેરાની કરચલીઓ દૂર થશે.
પાકા કેળામાં થોડાં ટીપા ગુલાબજળ અને અડધી ચમચી મધ નાખીને ચહેરા પર લગાડવાથી રુક્ષતા ઓછી થશે.
ખીલ પર નિયમિત કેળું લગાડવાથી ખીલ બેસી જશે.
નારિયેળ:- ચહેરા અને આરોગ્ય માટે નારિયેળ પાણી ઉત્તમ છે.
પ્રથમ નારિયેળ પાણીથી ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો ધોવાથી ચહેરા પર તાજગી વરતાશે.
નારિયેળનાં ખમણમાં લીંબુનો રસ, અડધી વાડકી તાજું દહીં ઉમેરી માથામાં લગાડવાથી વાળ કાળા અને ચમકદાર બનશે.
લીંબુ :- લીંબુનું શરબત પીવાથી તાજગી મળે છે. લીંબુની છાલ કોણી અને હાથ પગની કાળાશ દૂર કરે છે. લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ વધુ હોવાથી શરીરને માટે ઉપયોગી છે. માંદગીમાં લીંબુનો રસ તાજગી આપે છે.
કાકડી:- કાકડીનું કચુંબર ઉત્તમ છે.કાકડીનો જ્યુસ ચહેરા પર લગાડવાથી ખીલની તકલીફ દૂર થાય છે. કાકડીનાં પીતા આંખ ઉપર મૂકવાથી આંખની ગરમી દૂર થશે અને કાળા ડાઘા દૂર થશે.
પપૈયુ:- પપૈયાનો ગર ચહેરા પર લગાડી તેને રગડવાથી ત્વચાના મૃત કોષો દૂર કરવામાં મદદ કરે છે. કેળા અને પપૈયા કબજિયાત દૂર કરે છે.
ટામેટા:- ટામેટામાં લાયકોષીન નામનો એંટીઓક્સીડંટ હોય છે. ટામેટાં નિયમિત ઉપયોગ કરનારને પ્રોસ્ટ્રેટ ગ્રંથિનું કૅંસર થતું નથી.
કોબીનાં કાચાં પાન ખાવાથી ઍસિડિટીમાં રાહત મળે છે.
દૂધ સાથે કેળાં ખાવાથી કૅલ્શિયમની ઊણપ દૂર થાય છે.
કાળી દ્રાક્ષ, કાળી ખજૂર, જાંબુડી રંગની તાંદળજાની ભાજી, પાલકની ભાજીના ઉપયોગથી હિમોગ્લોબીન વધારવામાં મદદરૂપ થાય છે.
આપણા રોજિંદા ભોજનમાં દાળ, ભાત, શાક, રોટલી, કચુંબર, ફળ અને પાણી આપણું આરોગ્ય અને બિમારીથી બચવા ઉપયોગી છે.