[1] દરવાજો ખોલ-બંધ કરતી વખતે અથવા તો હીંચકાનાં કડામાં કિચૂડ-કિચૂડ અવાજ થતો હોય તો પેટ્રોલિયમ જેલી લગાવો. અવાજ બંધ થઈ જશે.
[2] ગરમ પાણીમાં મીઠું નાખવાથી પાણી વધારે સમય સુધી ગરમ રહે છે.
[3] વડાં, ભજિયાં વગેરેને નરમ બનાવવા માટે દાળ અથવા ચણાના લોટને ત્યાં સુધી ફીણો જ્યાં સુધી એ પાણીમાં જરાક નાખવાથી ઉપર આવીને તરવા ન લાગે. કઢી બનાવતી વખતે પણ ચણાના લોટને આ રીતે ફીણવામાં આવે તો તે વધારે સ્વાદિષ્ટ લાગે છે.
[4] થર્મોસમાંથી દુર્ગંધ આવતી હોય તો છાશમાં મીઠું મિક્સ કરી એ મિશ્રણથી થર્મોસ સાફ કરો.
[5] જો ભાત વધી પડે તો એમાં દહીં, મીઠું, મીઠો લીમડો નાખીને ઘી અને રાઈનો વઘાર કરો. પછી એમાં મનપસંદ શાકભાજી મેળવીને ફ્રાઈડ રાઈસ બનાવી શકાય છે.
[6] લોટ અને ખાંડના ડબ્બામાં થોડાં લવિંગ નાખી રાખો. એનાથી એમાં લાલ કીડીઓ નહીં આવે.
[7] છરી વાગેલા ઘા પર રૂ બાળીને દબાવી દેવાથી લોહી તરત બંધ થઈ જશે.
[8] વાટેલાં લાલ મરચામાં થોડું મીઠું નાખી રાખવાથી જીવાત નથી પડતી.
[9] દહીં બહુ ખાટું થઈ ગયું હોય તો ઉપયોગ કરતાં પહેલાં એને કોઈ પાતળા કાપડમાં બાંધીને લટકાવી દો. એમાંનું બધું પાણી નીતરી જાય એટલે કોઈ વાસણમાં કાઢીને એમાં થોડું દૂધ ભેળવી દો. દહીં ફરી તાજું થઈ જશે.
[10] બટાટા બાફતી વખતે પાણીમાં થોડું મીઠું નાખો. એનાથી બટાટા બાફ્યા પછી ફાટી નહીં જાય.
[11] નંગવાળા દાગીનાને સાફ કરવા હૂંફાળા પાણીમાં અરીઠા કે સાબુની ભૂકી નાખીને થોડી વાર રહેવા દો. પછી બે-ત્રણ પાણીએ ધોઈ નાખો. નંગવાળા દાગીના ક્યારેય બ્રશથી સાફ ન કરો. બ્રશથી સાફ કરવાથી નંગ નીકળી જવાની શક્યતા રહે છે.